પંચમહાલમાં પૂર્વ સાંસદની કાર અને ST બસ વચ્ચે અકસ્માત, અકસ્માત બાદ મારામારીનો વીડિયો વાયરલ
આજકાલ અકસ્માત સામાન્ય બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં અકસ્માત બાદ મારામારીનો એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહો છો.પંચમહાલના પૂર્વ સાંસદની કાર અને એસ.ટી. બસ વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદમાં પૂર્વ સાંસદના કાર ડ્રાઇવરે એસ.ટી. બસ ડ્રાઇવર ને માર માર્યો હતો. અકસ્માત બાદ રોડ પર જ મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. આ બનાવ કાલોલની અલીન્દ્રા ચોકડી નજીક બન્યો હતો. જેમાં પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકી ની કારને અકસ્માત નડ્યો હતો. જે બાદમાં ગોપાલસિંહ સોલંકીની કારના ચાલકે સરકારી બસના ડ્રાઇવર ને માર માર્યો હતો.
પૂર્વ સાંસદના કારનો ડ્રાઇવર એસ.ટી. બસના ડ્રાઇવરને માર મારતો હોય એવો વીડિયો મુસાફરે પોતાના મોબાઇલમાં શૂટ કરી લીધો હતો. અને આ આખી વાત પોલીસ સુધી પણ પહોંચી છે. એવું પણ જાણવા મળ્યું છે કે બસમાં કેટલાક એસ.ટી. કર્મીઓ પણ મુસાફરી કરી રહ્યા હતા. જેમણે આ વીડિયો શૂટ કર્યો હતો. આ બનાવ બાદ એસ.ટી.ના કર્મચારીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.
સાંસદે આ બાબતે શું કહ્યું? આ બનાવ અંગે પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, “હું મારા ડ્રાઇવર સાથે કાર લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન એસ.ટી. બસના ડ્રાઇવરે બેદરકારી દાખવી અચાનક બ્રેક મારી હતી. જે બાદમાં કારને જમણી તરફ લીધી હતી. આ દરમિયાન એસ.ટી. બસના ડ્રાઇવરે પણ જાણી જોઈને કાર જમણી બાજુ લીધી હતી. આ કારણે બસ અને કારની ટક્કર થઈ હતી. અકસ્માતમાં કોઈને ઈજા નથી થઈ. અકસ્મતામાં વોલ્વો કારને બેથી અઢી લાખ રૂપિયાનું નુકસાન થયું છે.”
ફરિયાદ કરવાનો ઇન્કાર કર્યો. પૂર્વ સાંસદે વધુમાં જણાવ્યું કે,”અકસ્માત બાદ હું ડ્રાઇવર સામે કોઈ ફરિયાદ કરવાનો માંગતો નથી. અમે ફક્ત વીમાનો ક્લેમ કરીએ છીએ. એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટરે મારી ગાડીના ડ્રાઇવરને ફટકાર્યો હતો. અમે કાયદો હાથમાં નથી લીધો. જો એ લોકો સામેથી ફરિયાદ કરશે તો અમે પછી નિર્ણય કરીશું..”
અકસ્માત બાદ મારામારીનો વીડિયો વાયરલ
પંચમહાલમાં પૂર્વ સાંસદની કાર અને ST બસ વચ્ચે અકસ્માત#Panchmahal pic.twitter.com/lhK5e5W90b
— News18Gujarati (@News18Guj) June 10, 2022
ડ્રાઇવરને માર માર્યો તો ફરિયાદ કેમ નહીં? જે વીડિયો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કારનો ડ્રાઇવર કેબિનમાં અંદર ચઢીને ડ્રાઇવરને માર મારી રહ્યો છે. તે બસના ડ્રાઇવરને કોલરથી પકડીને પણ લઈને જતો નજરે પડે છે. આ કેસમાં પૂર્વ સાંસદે એવો આક્ષેપ કર્યો છે કે બસના ડ્રાઇવર અને કંડક્ટરે સાથે મળીને તેના ડ્રાઇવરને માર માર્યો છે તો તેઓ ફરિયાદ કરવાનો શા માટે ઇન્કાર કરી રહ્યા છે? આ ઉપરાંત તેમણે પોતાના કારને બેથી અઢી લાખનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો છે તો શા માટે પોલીસ ફરિયાદ નથી કરી રહ્યા? બીજી તરફ એવી પણ વિગતો જોવા મળી છે કે એસ.ટી. બસનો ડ્રાઇવર કારના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસ મથક પહોંચ્યો છે.