બહુચરાજી મંદિરને 86 ફૂટથી વધુ ઊંચાઈનું ભવ્ય બનાવાશે, બંસી પહાડપુર પથ્થરમાંથી નિર્માણ કરાશે
ગુજરાત સરકારે શ્રી બહુચર માતાજીના ભવ્ય નિર્માણ માટે મંજૂરી આપી દીધી છે. રાજ્યના ધર્મપ્રેમી ભક્તોને દર્શન માટેની સગવડો ધ્યાને લઈ સોમનાથ, દ્વારકા, પાવાગઢના મંદિરના વિકાસની જેમ જ બહુચરાજી મંદિરનું નિર્માણ કરાશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખીને બંસીપહાડપુર પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
મંદિરના હયાત જમીનના ડેટાની માહિતી મેળવવા, ડિઝાઇન તૈયાર કરાવવા માટે કન્સલ્ટન્ટ દ્વારા જરૂરી જમીનની વજન સહન કરવાની ક્ષમતા(SBC) અંગેના ટેસ્ટિંગ રિપોર્ટના આધારે પાયામાંથી શિખર સુધી 86.1 ફૂટની ઊંચાઈ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસની કામગીરી હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા 70 કરોડથી વધુનો ખર્ચ કરવાનું આયોજન છે.
આ મંદિર હયાત સ્થળની પરિસ્થિતિને ધ્યાને રાખી વરખડીવાળા સ્થાનને યથા યોગ્ય રાખી તથા વલ્લભભટ્ટનાં મંદિરમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા સિવાય બંસીપહાડપુર પથ્થરમાં મંદિર નિર્માણ પામશે. હાલનું બહુચરાજી મંદિર 18મી સદીના અંતમાં માનાજીરાવ ગાયકવાડના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું અને રેતીના પથ્થરનો ઉપયોગ કરીને તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.